ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પક્ષની પ્રચંડ બહુમતી છે, અને કોઈપણ કાયદો ઘડવા કે સુધારા-વધારા કરવા માટે પર્યાપ્ત તાકાત છે, એટલે કે સંખ્યાબળ છે, પરંતુ
ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પક્ષની પ્રચંડ બહુમતી છે, અને કોઈપણ કાયદો ઘડવા કે સુધારા-વધારા કરવા માટે પર્યાપ્ત તાકાત છે, એટલે કે સંખ્યાબળ છે, પરંતુ કોઈ મુદ્દે જો વિપક્ષી ધારાસભ્યો પણ સહમત થઈ જાય, તો એ પ્રસ્તાવ કાયદો કે સુધારો સર્વસંમતીથી પસાર થઈ શકે. તેથી આ નવો મુદ્દો માત્ર રાજકીય જ નહીં, પરંતુ સામાજિક રીતે પણ ‘ટોક ઓફ ધ સ્ટેટ’ બન્યો છે.
બન્યું હતું એવું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રેમલગ્નના કિસ્સામાં કુમાર અને કન્યા એટલે કે યુવક અને યુવતી અત્યારે પુખ્તવયના હોય તો કાયદેસર રીતે લગ્ન કરી શકે છે અને સિવિલ મેરેજ અથવા સાદી ભાષામાં કહીએ તો કોર્ટમેરેજ કરી શકે છે, અને તેના આધારે લગ્નનોંધણી કાયદેસરની ગણાય છે.
પટેલ સમાજના મહેસાણાના કાર્યક્રમ દરમિયાન રાજકીય પક્ષાપક્ષીને બાજુ પર રાખીને જ્યારે આગેવાનો એકઠા થયા હતાં, ત્યારે તેમાં સરકાર અને વિપક્ષના ધારાસભ્યો તથા નેતાઓ પણ ઉપસ્થિત હતાં. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંકેત આપ્યો હતો કે, યુવક-યુવતીઓના લવમેરેજ માટે માતા-પિતાની સહમતિ ફરજિયાત બનાવવાના મુદ્દે બંધારણનો ભંગ ન થાય, તેવો કોઈ રસ્તો કાઢવાનું વિચારાશે. આ સંકેત મળ્યા પછી ગનીબેન ઠાકોર સહિતના કોંગી નેતાઓએ પણ આ મુદ્દે મુખ્યમંત્રીના કોન્સેપ્ટને સમર્થન આપ્યું છે, જેથી આ મુદ્દે કોઈ કાયદો બનાવવા કે પછી કાયદો બનાવવા માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલવાનો માર્ગ મોકળો થઈ ગયો છે, પરંતુ બંધારણમાં મળેલા અધિકારોને જાળવી રાખીને કઈ રીતે આવી જોગવાઈ ફરજિયાત કરી શકાય, તે નક્કી કરવું ઘણું અઘરૃ છે.
આ અંગે સરકાર અને વિપક્ષ જે કરે તે ખરૃ, પણ યુવાવર્ગ સહિત રાજ્યમાં આ મુદ્દે પ્રતિભાવો આવવા લાગ્યા છે. જેના માતા-પિતા પૈકી એક હયાત ન હોય, માતા-પિતા બન્ને ન હોય કે પછી અનાથ હોય, તેનું શું? તેવા પ્રશ્નો સાથે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ સૂચન પણ સામે આવી રહ્યું છે, જેથી વચલો માર્ગ નીકળી શકે છે.
માતા-પિતા કે વાલી?
એક એવું સૂચન છેકે પ્રેમલગ્ન માટે માતા-પિતા બન્નેની નહીં, પરંતુ કોઈ એકની સહી હોવી જરૃરી ગણી શકાય, જેથી મનસ્વી રીતે પુખ્ત વયના સંતાનોને તેમની જિંદગીનો નિર્ણય લેતા તદ્ન અટકી ન શકાય. આ ઉપરાંત માતા-પિતા ન હોય, તેવા સંજોગોમાં પણ પાલક માતા-પિતા કે તે પણ ન હોય, તેવા સંજોગોમાં તેના ઉછેરનાર વાલીઓની સહી ફરજિયાત કરવાનું વિચારી શકાય. એક બીજું સૂચન એવું છે કે, પ્રેમલગ્ન માટે માતા-પિતાની સહી નહીં, પરંતુ બન્ને પરિવારોના સભ્યોની સહમતિના પ્રયાસો ભાવનાત્મક રીતે થવા જોઈએ.

વ્યાપક સૂચનોનો સારાંશ એવો છે કે, પ્રેમલગ્નમાં બન્નેના માતા-પિતા અને પરિવારોની સહમતી કાનૂની રીતે ફરજિયાત કરવાના બદલે જ્ઞાતિ-સમાજો-ધર્મગુરુઓ દ્વારા પોતપોતાના જ્ઞાતિ-સમાજ-ધર્મ સંપ્રદાયોમાં જનજાગૃતિ ફેલાવીને વધુ સારા પરિણામો મેળવી શકાય તેમ છે.
મોટાભાગે અત્યારે સંતાનોના માતા-પિતા અને વડીલોને એવી ચિંતા રહે છે કે પોતાના સંતાનો સોશ્યલ મીડિયાના યુગમાં કોઈથી ભોળવાઈ જાય, અને કોઈ મુસીબતમાં પડી ન જાય!
જ્યારે લવજેહાદ અને જુદા જુદા ધર્મોના યુવક-યુવતીઓના લગ્નને લઈને ચર્ચા થાય છે, ત્યારે ત્યારે આવી ચિંતા વધુ વ્યાપક બનતી હોય છે, બાકી પરસ્પર સાચા પ્રેમ અને સમજણથી ઘણાં ઈન્ટરકાસ્ટ અને ઈન્ટર રિલિજિયન લગ્નો પણ થતા હોય છે.
જો સરકારની કક્ષાએથી પહેલ થશે અને સમાજ-અને સંસ્થાઓ તેમાં સહયોગી બનશે, તો આ મુદ્દે કોઈને કોઈ સર્વસ્વીકાર્ય માર્ગ નીકળશે, જેમાં દેશના યુવા નાગરિકોના બંધારણીય હક્કો પણ જળવાય અને માતા-પિતા-વડીલોની દ્વિધા અથવા ચિંતા પણ દૂર થાય, તેવા પ્રતિભાવો વ્યક્ત થઈ રહ્યા છે.
ખાસ કરીને પ્રેમલગ્નો માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવાના બદલે કોઈપણ એક પરિવારજનની સહમતીનો નિયમ સામાજિક રીતે લાગુ કરવામાં આવે, અને તેને સામાજિક પરંપરા તરીકે અપનાવવામાં આવે, અથવા યુવક-યુવતીઓને ગેરમાર્ગે દોરતા પરિબળોને અટકાવવાના કાનૂની ઉપાયો થાય, તે જરૃરી હોવાના પ્રત્યાઘાતો પણ ચર્ચાઈ રહ્યા છે.


COMMENTS