ગુજરાત હાઇ કોર્ટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ એકમાં પ્રવેશ માટે બાળકની ઉંમર છ વર્ષ પૂર્ણ થયેલ હોવી જોઇએ તેવી રાજ્ય સરકારના નીતિ વિષયક નિર્ણયને પડકા
ગુજરાત હાઇ કોર્ટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ એકમાં પ્રવેશ માટે બાળકની ઉંમર છ વર્ષ પૂર્ણ થયેલ હોવી જોઇએ તેવી રાજ્ય સરકારના નીતિ વિષયક નિર્ણયને પડકારતી અરજીઓ એક અતિ મહત્ત્વના ચુકાદા મારફતે ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ નિલય વી.અંજારિયાની ખંડપીઠે ગુજરાત સરકારના નિર્ણયને બહાલ રાખ્યો હતો. હાઇ કોર્ટે કહ્યું કે, વાલીઓ દ્વારા ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રિ-સ્કૂલમાં મોકલવા માટેનું દબાણ એ એક રીતે ‘ગેરકાયદેસર કૃત્ય’ છે.
ગુજરાત હાઇ કોર્ટે રાજ્ય સરકારના તા.૩૧-૧-૨૦૨૦ અને તા. ૪-૮-૨૦૨૦ના જાહેરનામા કે જેના મારફતે વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષથી ધોરણ-૧માં પ્રવેશ માટે બાળકની ઉમંર છ વર્ષ ફરજિયાત બનાવાઈ હતી, તે જાહેરનામાઓને બહાલી આપી હતી. દરમિયાન હાઇ કોર્ટે નોંધ્યું હતું કે, રાઇટ ટુ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન રૂલ્સ-૨૦૧૨ની રૂલ-૮ને આરટીઇ એક્ટની જોગવાઇઓ સાથે વાંચતાં જે બાળકોએ ત્રણ વર્ષ પૂર્ણ ના કર્યા હોય તેઓને પ્રિ-સ્કૂલમાં પ્રવેશ પર પ્રતિબંધ છે.
અરજદાર બાળકો કે જેઓએ તા. ૧-૬-૨૦૨૩ની તારીખે છ વર્ષ પૂર્ણ ના કર્યા હોય તેમના વાલીઓ આ પ્રકારની કોઇ રાહત માગી શકે નહીં. કારણ કે, તેઓ આરટીઇ રૂલ્સ અને આરટીઇ એક્ટની આદેશાત્મક જોગવાઇઓના ભંગના કસૂરવાર છે. તેઓને તેમના બાળકોને ૨૦૨૦-૨૧માં પ્રિ-સ્કૂલ શિક્ષણમાં અભ્યાસમાં દાખલ કરી દીધા હતા અને તેથી તેઓ હવે ધોરણ-૧માં પ્રવેશ માટે તૈયાર છે અને તેથી તેઓને પ્રવેશ અપાવો જોઇએ તેવી દલીલથી આ કોર્ટ પ્રભાવિત થઇ નથી.
વાલીઓ તરફથી કરાયેલી જુદી જુદી ઢગલાબંધ પિટિશનોમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે, અરજદારોના બાળકોએ અગાઉ પ્રિ-નર્સરી અને કે.જી.માં ૨૦૨૦-૨૦૨૧માં પ્રવેશ મેળવી લીધો હતો અને હવે તેમના છ વર્ષ પૂરા થતાં નથી, જેના કારણે તેઓને ધોરણ-૧માં પ્રવેશ માટે સિનિયર કે.જી.માં ફરી અભ્યાસ કરવો પડે અને એક વર્ષ બગડે તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે.

વાલીઓ તરફથી આરટીઇ રૂલ્સની સબ રૂલ(૧)ને પડકારી જણાવાયું હતું કે, રાજ્ય સરકાર ઇચ્છે તો તેના સંબંધિત રૂલ્સમાં છ મહિનાનું એક્સ્ટેન્શન આપી શકે છે. અરજદારપક્ષ દ્વારા કટ ઓફ ડેટમાં રાહત આપવાની અને રાજ્યમાં આવા ત્રણ લાખ બાળકોને અસર થવાની હોવાની તેમના બાળકોને પ્રવેશ આપવાની અદાલતને વિનંતી કરાઇ હતી. દરમિયાન રાજય સરકાર તરફથી વાલીઓની રિટ અરજીઓનો સખત વિરોધ કરતાં જણાવાયું હતું કે, ભારત સરકારે તમામ રાજ્યોને નિર્દેશો જારી કર્યા છે તેના આધારે ધોરણ-૧માં પ્રવેશની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે સરકાર દ્વારા ૨૦૧૨ના આરટીઇ રૂલ્સમાં ૨૦૨૦માં જરૂરી સુધારો કરાયો હતો અને ત્રણ વર્ષ સુધી આ સુધારાની અમલવારી પર રાહત અપાઇ હતી અને તા.૧-૬-૨૦૨૩થી તેનો અમલ થશે તેમ ઠરાવાયું હતું. જેથી હવે હાલના તબક્કે અરજદાર વાલીઓના કોઇપણ વાંધા કે દલીલો ટકી શકે તેમ જ નથી. સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી હાઇ કોર્ટે વાલીઓ તરફથી કરાયેલી જુદી જુદી ઢગલાબંધ રિટ અરજીઓ ફગાવી દીધી હતી અને સરકારનો નિર્ણય બહાલ રાખ્યો હતો.


COMMENTS