હિંડનબર્ગ પછી હવે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટીંગ પ્રોજેક્ટ નામની એક ગ્લોબલ સંસ્થાએ ગૌતમ અદાણીના ગ્રુપ પર ગોટાળા કરવાનો મોટો આરોપ મૂક્યો છે
હિંડનબર્ગ પછી હવે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટીંગ પ્રોજેક્ટ નામની એક ગ્લોબલ સંસ્થાએ ગૌતમ અદાણીના ગ્રુપ પર ગોટાળા કરવાનો મોટો આરોપ મૂક્યો છે. ઓસીસીઆરપીના રિપોર્ટ અનુસાર પ્રમોટર પરિવારના બિઝનેસ પાર્ટનર્સે મોરેશિયસ સ્થિત ‘બેનામી’ રોકાણ ફંડોના માધ્યમથી અદાણી ગ્રુપના શેરોમાં કરોડો ડોલરનું રોકાણ કર્યું હતું.
ઓસીસીઆરપી એ તેના રિપોર્ટમાં કહ્યું છે કે, તેની તપાસમાં ઓછામાં ઓછા બે કેસ પકડાયા હતાં જ્યાં અનામી રોકાણકારોએ ઓફશ્યોર સ્ટ્રક્ચરના માધ્યમથી અદાણી ગ્રુપના સ્ટોકને ખરીદ્યા અને વેંચ્યા હતાં. ઉલ્લેખનિય છે કે ઓસીસીઆરપીને અજબપતિ જ્યોર્જ સોરોસ અને રોકફેલર બ્રધર્સ ફંડ જેવી સંસ્થાઓ દ્વારા ફન્ડીંગ મળે છે. જ્યોર્જ સોરોસ એ જ અબજપતિ છે જે સમયાંતરે કેન્દ્રની મોદી સરકારની ટીકા કરતા રહે છે.
ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપના કેટલાક મહત્ત્વના પબ્લિક ઈન્વેસ્ટરો જેઓ ખાસ કરીને તો અદાણીના ઈનસાઈડર જ છે તેઓ અનેક આરોપોનો સામનો કરી રહ્યા છે. તેમના પર ઈન્ડિયન સિક્યોરિટીઝનું ઉલ્લંઘન કરવાના આરોપો છે. જો કે અત્યાર સુધી કોઈ તપાસકાર એજન્સીઓ તેમની ઓળખ કરી શકી નથી. જો કે હવે ઓસીસીઆરપીએ એવા કેટલાક દસ્તાવેજોની મદદથી તેના પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમાં ઘણાં ટેકસ હેવન, બેન્ક રેકોર્ડ અને અદાણી ગ્રુપના ઈન્ટરનલ ઈમેલની મદદ પણ લેવાઈ છે.
ઓસીસીઆરપીના અહેવાલ અનુસાર અદાણી ગ્રુપના બિઝનેસનો નોલેજ ધરાવતા લોકોએ કહ્યું હતું કે એવા અનેક પુરાવા છે કે અદાણી ગ્રુપના જે શેરોમાં જાહેર જનતા દ્વારા રોકાણ કરવામાં આવતું હતું તેમાં મોરેશિયસમાં સંચાલિત ઓપેક ઈન્વેસ્ટમેન્ડ ફંડ દ્વારા કરોડો ડોલરનું સીધુ રોકાણ કરવામાં આવ્યું હતું. બે કેસમાં તો અદાણી સ્ટોક ધરાવતા પ્રતિનિધિઓનું રોકાણ ૪૩૦ મિલિયન ડોલરને આંબી ગયું હતું. આ રહસ્યમય રોકાણકારોના અદાણી ગ્રુપ સાથે સંબંધોનો ખુલાસો થયો છે. તેમાં નાસ્સેર અલી શાહબાન આહલી તથા ચાંગ ચુંગ લિંગનું નામ સામે આવ્યું છે. આ બંને લોકો અદાણી ગ્રુપના લાંબાસમય સુધી શેરહોલ્ડર, ડિરેકટર્સ રહ્યા છે અને અદાણી પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો પણ રહ્યા છે, જેમાં વિનોદ અદાણીનું નામ સામેલ છે.
દસ્તાવેજોમાં જાણ થઈ કે મોરેશિયસના ફંડે ઓફશોર સ્ટ્રકચરના માધ્યમથી અદાણીના સ્ટોકમાં વર્ષ દરમિયાન ખરીદ-વેચાણ કર્યું હતું. તેમાં ઘણો નફો કર્યો હતો. આ સાથે જ ઈન્વેસ્ટમેન્ટ બદલ મેનેજમેન્ટ કંપનીના ઈન્ચાર્જે વિનોદ અદાણીને ચૂકવણી પણ કરી હતી. ભારતીય શેરમાર્કેટના નિષ્ણાત અને પારદર્શકતાના હિમાયતી વ્યક્તિનું કહેવું છે કે જ્યારે કંપની દ્વારા પોતાના જ ૭પ ટકા શેર ખરીદી લેવામાં આવે તો તે ફકત ગેરકાયદે જ નથી હોતું પરંતુ તેને શેરની કિંમતોમાં કરાયેલું મેન્યુપ્યુલેશન એટલે કે ગેરરીતિ પણ કહેવાય છે. આ કૃત્રિમ રીતે શેરોના ભાવમાં હેર ફેર ગણાય.

હિંડેનબર્ગના આરોપોની તપાસ મામલે એસઈબીઆઈએ તપાસ હાથ ધરી હતી. તેણે આશંકા હતી કે અદાણી ગ્રુપમાં તમામ સાચા પબ્લિક શેરહોલ્ડર્સ નથી અને તેમાં પ્રમોટર્સની ભૂમિકા સામે આવી રહી હતી. ર૦ર૦ માં આ મામલે પણ તપાસ થઈ હતી જેમાં ૧૩ વિદેશી ફર્મને આવરી લેવાઈ હતી જે અદાણીના સ્ટોકમાં હિસ્સો ધરાવતી હતી. પરંતુ એસઈબીઆઈ આ મામલે કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી ના શકી. તે જાણી ના શકી કે આ પૈસા પાછળ કોનો હાથ હતો.
ઓસીસીઆરપીના અહેવાલ અનુસાર જે દસ્તાવેજો મળ્યા છે તેમાં જાણ થઈ કે ઈમરજિંગ ઈન્ડિયા ફોકસ ફંડ (ઈઆઈએફએફ)અને ઈએમ રિસર્જન્ટ ફંડ (ઈએમઆરએફ) કેટલાક ધનિક રોકાણકારો તરફથી ઓપરેટ કરવામાં આવી રહ્યા હતાં. આ બંને ફંડ્સમાં બે મોટા વિદેશી રોકાણકારોએ પૈસા રોક્યા હતાં. જેમાં તાઈવાનના ચાંગ અને સંયુકત અરબ અમીરાત (યુએઈ) ના અહલીનો સમાવેશ થતો હતો. આ બે ફંડની મદદથી જ અદાણીની ચાર કંપનીઓમાં ર૦૧૩ થી ર૦૧૮ વચ્ચે શેરોની ખરીદ વેચાણની પ્રક્રિયાઓ કરવામાં આવી હતી. એક સમયે ર૦૧૭ માં અદાણી ગ્રુપના સ્ટોકમાં ઈન્વેસ્ટમેન્ટની વેલ્યુ ૪૩૦ મિલિયન ડોલરને આંબી ગઈ હતી.
આ રિપોર્ટ બાદ સોશ્યલ મીડિયામાં નિષ્ણાતો દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે કે શું અદાણી પર લાગેલા આ આરોપોની સ્વતંત્ર રીતે તપાસ થશે કે પછી આ મામલો દબાઈ જશે ? મીડિયા અહેવાલો મુજબ અદાણી ગ્રુપે આ આક્ષેપોને ફગાવી દીધા છે.


COMMENTS