મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના સાામે બળવો કરીને એકનાથ શિંદેએ સરકાર બનાવ્યાના એક વર્ષમાં ફરી વધુ એક વાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં બળવો
મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના સાામે બળવો કરીને એકનાથ શિંદેએ સરકાર બનાવ્યાના એક વર્ષમાં ફરી વધુ એક વાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં બળવો કરીને અજિત પવારે શિંદે-ફડણવીસને ટેકો આપીને નાયબ મુખ્ય પ્રધાનપદ લીધા પછી આજે શરદ પવારની આગેવાની હેઠળ એનસીપીએ ટેકો આપનારા તમામ નેતાને બરતરફ કરવાનો નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્ર પ્રદેશના પ્રમુખ જયંત પાટીલે કહ્યું હતું કે બરતરફ કરનારા નેતાને પાર્ટીના ચિહનનો ઉપયોગ કરવા મુદ્દે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જયંત પાટીલના આ નિર્ણયને પાર્ટીના પ્રમુખ શરદ પવારનું સમર્થન મળ્યું છે. શરદ પવારે કહ્યું હતું કે તેમના નિર્ણયને મારું સમર્થન છે. અમે નવું સંગઠન બનાવીશું. કોણ ગયું અને કોના માટે ગયા એની અમે ચિંતા કરતા નથી, કારણ કે હવે એકબે ત્રણ વાર થઈ ચૂક્યું છે. રાજ્યમાં અમારું સંગઠન મજબૂત છે.
દરમિયાન શરદ પવારે કહ્યું હતું કે એક વખત હું વિદેશ ગયો હતો અને અનેક લોકો પાર્ટી છોડીને ગયા હતા પણ મને કોઈ ચિંતા નહોતી. અજિત પવારનો આ નિર્ણય તેમનો વ્યક્તિગત છે અને તેમની વાતોનું હવે કોઈ મહત્ત્વ નથી.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સોમવારે જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અજિત પવાર, જેઓ એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારમાં જોડાયા અને પક્ષના અન્ય આઠ વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવા માટેની અરજી પર યોગ્ય પગલાં લેશે. એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે રવિવારે કહ્યું હતું કે તેમની પાર્ટીએ અજિત પવાર અને અન્ય આઠ વિધાનસભ્ય સામે ગેરલાયકાતની અરજી દાખલ કરી છે.



COMMENTS