જુના અધિકારી બદલાઈ ગયા હોવાથી નવેસરથી એકડો ઘુંટવા કવાયત શરૂ સંવાદદાતા દ્વારા, સુરત સેન્ટ્રલ ઝોનમાં ચાલી રહેલી ડિમોલિશનની કામગીરી વચ્ચે વચેટિયાઓ સક
જુના અધિકારી બદલાઈ ગયા હોવાથી નવેસરથી એકડો ઘુંટવા કવાયત શરૂ
સંવાદદાતા દ્વારા, સુરત સેન્ટ્રલ ઝોનમાં ચાલી રહેલી ડિમોલિશનની કામગીરી વચ્ચે વચેટિયાઓ સક્રીય થઈ ગયા હોવાની હકીકત બહાર આવી રહી છે.

સાંકડી ગલી, નાના રોડ, ભરચક ટ્રાફિક અને ગંદકીથી ખદબદતા સેન્ટ્રલ ઝોનમાં માત્ર 1.2 જ એફએસઆઈ મળતી હોવાથી બિલ્ડરો નાછુટકે બિનઅધિકૃત બાંધકામ કરવા પ્રેરાય છે. જેને પાલિકાના અધિકારીઓનું પીઠબળ મળી રહ્યું હોવાથી અમુક બિલ્ડરો બેફામ બન્યા છે. ત્રણ-સાડા ત્રણ માળની મંજુરી બાદ પાંચ-છ અથવા સાત માળ ઠોકી બેસાડવામાં આવી રહ્યા હોવાથી RTI ના નામે વ્યાપાર કરતાં લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી અને સુરતમાં નવો વેપાર શરૂ થયો હતો. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારમાં રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ (RTI) નો કાયદો અમલી બન્યો હતો જેના દુરૂપયોગ કરીને કેટલાંક તત્વોએ આને ધંધો બનાવી લીધો હતો. જોકે, થોડી કાનુની અડચણો પછી મામલો શાંત થયો છે.

તો બીજી તરફ પાલિકાના વહીવટી વિભાગમાં પણ ઘરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા હોવાથી સેન્ટ્રલ ઝોનમાં સતત ડિમોલિશનની કામગીરી શરૂ થઈ છે. દરરોજ 2-3 મિલકતનું બિનઅધિકૃત બાંધકામ દૂર કરી રહેલી પાલિકાના ઉગ્ર સ્વરૂપનો લાભ ઉઠાવવા એટલે કે આફતને અવસરમાં બદલવા માટે અમુક વચેટિયાઓ સક્રિય થઈ ગયા છે અને સેન્ટ્રલ ઝોનમાં ઝોલ બેસાડવા ફાંફા મારી રહ્યાં છે.
જે બિલ્ડરોની મિલકત પર પાલિકાના હથોડા ચાલ્યા છે તે મિલકત ફરીથી બનાવવા માટે વચેટિયાઓ અધિકારીઓની કેબિનના આંટાફેરા મારી રહ્યાં છે જેે કારણે પાલિકામાં ફરીથી ભ્રષ્ટાચારીઓનું શાસન સ્થપાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ વચેટિયાઓ નવા કાર્યપાલક ઈજનેર સાથે સબંધ કેળવવા માટે એડીચોટીનું જોર લગાડી રહ્યાં હોવાથી ભાજપના ભ્રષ્ટાચાર મુક્ત શાસનને બટ્ટો લાગી શકે એમ છે. આવા વચેટિયાઓ પર લગામ કસવાની જરૂર છે.


COMMENTS